કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર મુખ્યમંત્રીના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરને ૬-૬ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. અને કૃષિ વિભાગની ૬૪ ટીમો આ કામે ફાળવવામાં આવી છે.
૭૧ ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે
તપાસના પ્રથમ દિવસે, તા. ૦૪/૦૮/ ૨૦૨૫ ના રોજ ૧૮ જિલ્લાઓમાં કુલ ૫૬ વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ ૧૭ જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને ૪ ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા ૫૦૨ જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી ૭૧ ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે. આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.
તપાસ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓની ખાસ ચકાસણી કરવામાં આવી:
● ખાતરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા વિતરણની વ્યવસ્થા
● POS મશીન દ્વારા થતા વેચાણના આંકડાની પડતાલ
● ભૌતિક સ્તરે હાજર સ્ટોકની ચકાસણી
● નિયમ મુજબના સ્ટોક પત્રક નિભાવણી