ગુજરાતમાં વરસાદી સિઝન શરૂ થતાં જ ખેડૂતોએ ભરપુર વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાઈ જવો અને ખાતરની અછતને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ આ વર્ષે રોકડિયા પાક તરીકે શાકભાજીમાં કારેલાનો ભાવ એકાએક ઘઘડી જતા કારેલાના પાકનું વાવેતર કરનારા ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.


સહાય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે માંગી રહ્યા છે

રોકડિયા પાક તરીકે આર્થિક દ્રષ્ટિએ સધ્ધર થવા માટે સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢ કંપા સહિતના વિસ્તારોમાં તેલીબિયાં પાકો સહિત મગફળી અને તુવર જેવા પાકોની જગ્યાએ સ્થાનિક લોકોએ કારેલાની વાવણી કરી હતી. જેમાં પ્રતિ એકરે 30 થી 35 હજારનો ખર્ચ કરવાનો રહે છે જોકે શરૂઆતના તબક્કાઓમાં 800 થી રૂપિયા 1200 નો ભાવ પ્રતિ 20 kg એ હતો જે અચાનક તૂટીને હાલમાં માત્ર 150 થી 250 સુધીનો થઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન આવી રહ્યુ છે જેના પગલે ખેડૂતો હવે આખરી સહાય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે માંગી રહ્યા છે.

કારેલાના પાકની જગ્યાએ અન્ય ખેતી તરફ ખેડૂતોને વળવું પડે તો નવાઈ નહીં

સામાન્ય રીતે કારેલા એ આયુર્વેદની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ શાકભાજીમાં આવે છે. તેમજ શરીરના તમામ રોગોમાં લાભકારી છે.તેના પાંદડા અને વેલા પણ ચામડી માટે આરોગ્યપ્રદ જણાય છે. ત્યારે આ વર્ષે હિંમતનગરના તખતગઢ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ કારેલાનો પાક વાવીને આર્થિક દ્રષ્ટિએ સધ્ધર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અચાનક ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે.હવે કારેલાના પાકની જગ્યાએ અન્ય ખેતી તરફ ખેડૂતોને વળવું પડે તો નવાઈ નહીં.

20 કિલોના 800થી 1200 સુધીના ભાવ બોલાયા

શરૂઆતના તબક્કામાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના 800થી 1200 સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે હાલમાં માત્ર 150થી 250 રૂપિયા પ્રતિ 20 કિલો એ મળતા ખેડૂતમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ ગૃહિણીઓને આજે પણ પ્રતિ કિલોના ભાવે મળતું શાકભાજી જથ્થાબંધમાં ખેડૂતો પાસેથી વેપારીઓ 20 કિલો મેળવતા રહે છે. ત્યારે આવનારા સમયમાં તંત્ર પણ ચોક્કસ કામગીરી કરશે તો ખેડૂતો માટે વ્યાપક ફાયદો કરનારું બની રહેશે.


  • Follow us on: