વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં એક રેલવે કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કરકથલ ગામના વતની મયુરકુમાર તળસીભાઇ પરમાર (ઉંમર વર્ષ ૩૦) રેલવે વિભાગમાં લાઈનમેન તરીકે કાયમી ફરજ બજાવતા હતા. મયુરકુમાર રોજની જેમ પોતાની નોકરી પરથી ઘરે આવ્યા બાદ, પોતાના જ રહેણાંક મકાનની અંદર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજર પડતાં જ ઘરમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
ડિવોર્સ બાદ ડિપ્રેશનમાં હોવાની આશંકા
સ્થાનિક સ્તરે અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, ૩૦ વર્ષીય મયુરકુમારના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણોસર દામ્પત્ય જીવન લાંબુ ચાલ્યું ન હતું અને પતિ-પત્ની વચ્ચે કાયદાકીય રીતે ડિવોર્સ (છૂટાછેડા) થઈ ગયા હતા. લગ્નજીવન તૂટી જવાના કારણે મયુરકુમાર અંદરખાને ભારે માનસિક તણાવ અને ડિપ્રેશન નો સામનો કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ આઘાત અને એકલતા સહી ન શકવાના કારણે જ તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે.










