અમદાવાદ શહેરમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પર્વ દરમિયાન શહેરમાં બાપ્પાની આરાધના માટે વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા પોતપોતાના ઘરોમાં તેમજ સોસાયટીઓમાં સુંદર પંડાલો અને મંડપસજાવીને સામૂહિક રીતે ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. દબાણ કે ભીડભાડ વગર પર્યાવરણની જાળવણી સાથે મૂર્તિ વિસર્જન સંપન્ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.

કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ

શહેરના જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 38 જેટલા સ્થળો પર આર્ટિફિશિયલ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા 8 કરોડથી વધુનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત શહેરમાં કુલ 47 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડનું નિર્માણ કરાયું છે. દર વર્ષે ગણેશોત્સવના સમયÜ શહેરમાં ઉત્સવના માહોલ વચ્ચે મૂર્તિઓના શાસ્ત્રોક્ત અને સુરક્ષિત વિસર્જન માટે આ પ્રકારના કામચલાઉ કુંડ બનાવવા પડે છે, જેથી લાખો શ્રદ્ધાળુઓ સુગમતાપૂર્વક વિસર્જન વિધિ કરી શકે.મ્યુનિસિપલ તંત્ર તરફથી દર વર્ષે શહેરના સાત અલગ-અલગ ઝોનમાં આ પ્રકારે કૃત્રિમ ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. 

ગણેશ વિસર્જન

કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવાયું

આ પુનરાવર્તિત ખર્ચમાં મોટો ઘટાડો થાય અને કાયમી ધોરણે પ્રશ્નનો ઉકેલ આવે તે હેતુસર, વર્ષ 2022માં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં કાયમી કુંડ બનાવવાનું મહત્વપૂર્ણ આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું હતું. આ અંગે સત્તાવાર ચર્ચાઓ પણ થઈ હતી કે જો કાયમી માળખું ઊભું કરવામાં આવે તો દર વર્ષે થતા લાખો-કરોડો રૂપિયાના ખર્ચમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગંભીર ચર્ચા થયા બાદ પણ તે દિશામાં આગળની કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. કોઈ અગમ્ય અને રહસ્યમય કારણોસર તંત્ર દ્વારા કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવામાં આવ્યું છે, જેના પરિણામે દર વર્ષે ઉત્સવ ટાણે જ અસ્થાઈ ધોરણે કરોડો રૂપિયા ખર્ચીને કુંડ બનાવવાની કામગીરી કરવાની ફરજ પડે છે. 

આ પણ વાંચોઃ Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર