અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા સર્કલ પાસે ક્રિષા સ્પામાં મોડી રાત્રે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અગાઉ ઓઢવ વિસ્તારમાં સ્પા પર પડેલી પોલીસ રેડની અંગત અદાવત રાખીને 5થી 6 જેટલા શખ્સો હથિયારો સાથે ક્રિષા સ્પામાં ત્રાટક્યા હતા. હુમલાખોરો સ્પા માલિક પર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ ઘટના સમયે માલિક હાજર ન હોવાથી ત્યાં કામ કરતા દશરથ મીના નામના નિર્દોષ યુવક પર તૂટી પડ્યા હતા અને સ્પાના માલિક ગેરહાજર હોતાં આ કર્મચારી તેનો ભોગ બન્યો હતો.

ઢોરમાર મારી નીચે ફેંકી દેતાં દશરથ મીનાનું નીપજ્યું મોત

હુમલાખોરોએ યુવક દશરથ મીનાને અત્યંત અમાનુષી રીતે ઢોરમાર માર્યો હતો. મારપીટ કર્યા બાદ આ માથાભારે શખ્સોએ તેને સ્પા પરથી નીચે ફેંકી દીધો હોવાનો ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા દશરથ મીનાનું ટૂંકી સારવાર દરમિયાન અથવા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માસૂમ કર્મચારીના અચાનક મોતથી તેના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે.

5થી 6 શખ્સો સામે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ હત્યા કેસમાં 5થી 6 આરોપીઓની સંડોવણી સામે આવતાં જ પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસ આ અદાવત પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન દરોડા પાડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો