અમદાવાદ શહેરમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટેની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાંચિયા વચેટિયાઓ દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી સફળતા મેળવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને ફરિયાદી પાસેથી રૂ. 4.07 લાખની લાંચ માંગનાર સુરેશકુમાર પંડ્યા નામના ખાનગી વ્યક્તિને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાંચ
મળતી માહિતી મુજબ, આરોપી સુરેશકુમાર પંડ્યાએ ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર કરાવી આપવાની લાલચ આપી હતી અને તેના બદલામાં રૂ. 4,07,000 ની મોટી રકમની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે ગુજરાત ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે તાત્કાલિક વ્યુહરચના ગોઠવીને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે લાંચનું છટકું (Trap) ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી સુરેશકુમાર પંડ્યા જેવો જ લાંચના રૂ. 4.07 લાખ સ્વીકારતો હતો કે તુરંત જ વોચમાં રહેલી ACB ની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો.
