વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે CM ને લખેલા પત્ર બાદ સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે આકરા શબ્દોમાં લખેલા આ પત્ર બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ વિરમગામ દોડી આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે, રાજકીય નેતાઓ દ્વારા થતી સીધી રજૂઆતો કેટલી અસકારક સાબિત થઇ શકે છે.
ઉચ્ચ અધિકારીઓએ યોજી તાબડતોડ બેઠક
હાર્દિક પટેલના પત્રમાં મુખ્યત્વે વિરમગામ અને આસપાસના વિસ્તારોમાં પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ પત્રને ગંભીરતાથી લઈને ગાંધીનગરની નાયબ કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓની એક તાબડતોડ બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી જેમાં સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચર્ચા
આ બેઠકમાં ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થાનિક સ્તરે શું પગલાં લઇ શકાય અને કેવી રીતે ઝડપી નિરાકરણ લાવી શકાય તે અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. આ ઘટના એ વાતનો પુરાવો છે કે, જ્યારે કોઈ જનપ્રતિનિધિ સક્રિયતા દાખવીને લોકોના પ્રશ્નો ઉઠાવે છે ત્યારે જ તંત્ર નિંદ્રામાંથી જાગે છે. જોકે, માત્ર બેઠકો યોજવાથી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે પરંતુ જમીની સ્તરે કામગીરી થશે તો જ લોકોને સાચી રાહત મળશે.









