મ્યુનિ. કોર્પોરેશન છેલ્લા ઘણા સમયથી શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું છે.


બહેરામપુરથી રિવરફ્રન્ટ તરફ જતાં માર્ગ પર મ્યુનિ. કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ પર ઘણાં વર્ષોથી ઝૂંપડા બનાવી કબજો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આવેલા કાચા-પાકા ઝૂંપડાના દબાણ હટાવવાની કામગીરી આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેમાં સપ્તઋષિના સ્મશાનની બાજુમાંથી રિવરફ્રન્ટ જતા લવલી બાબાની મસ્જિદ પાછળ મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટ પર લાંબા સમયથી ઝૂંપડાઆ બનાવી દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું. જેના પર 17 રહેણાંક પ્રકારના 3657 ચો.ફૂટનું બાંધકામનું દબાણ હટાવવામાં આવ્યું હતું. જેના માટે માટે મ્યુનિસિપલની ખાસ ટીમ સાથે દાણીલિમડા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જેના સાથે જ મ્યુનિ. દ્વારા 16,678 ચોરસ ફૂટ પ્લોટનો કબ્જો લેવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટના ઓર્ડર બાદ 20 ડિસેમ્બર 2024ના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સ્વેચ્છાએ ન હટાવવામાં આવતાં તંત્ર દ્વારા આખરે દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા અલગ અલગ જાહેર માર્ગને અડચણરૂપ તથા બીઆરટીએસ રૂટ પર નડતર રૂપ એવા કાચા - પાકા મકાનો અને દુકાનોનું દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. મ્યુનિ. દ્વારા કુલ 4 કાચા શેડ, 8 લારી તથા 62 પરચુરણ માલસામાન તેમજ અલગ અલગ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત રોડ પર નો પાર્કિંગ ઝોનમાં આવતા 8 વાહનોને લોક કરી તેમાંથી રૂ. 9500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ પૂર્વ વિસ્તારમાં નડતરરૂપ દબાણ હટાવવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે.


  • Follow us on: