અમરાઇવાડીમાં તે બાતમી આપીને પોલીસને કેમ મારા ઘરે મોકલેલ છે કહીને કોન્સ્ટેબલને પાડોશી એક મહિલા સહિત ચાર લોકોએ માર માર્યો હતો. આ અંગે કોન્સ્ટેબલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરીયાદ નોધાવી છે.
અમરાઇવાડીમાં રહેતા હર્ષદભાઈ વાઘેલા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. ગત 22 જૂને આકાશ ઠાકુરના ઘરે કોન્સ્ટેબલ કલ્પેશભાઇ અને કિશનભાઇ આવ્યા હતા. ભાવેશે હર્ષદભાઈને ફોન કરીને કહ્યુ કે આકાશ ઠાકુરની બહેન લલીબેન તમારા ઘરે આવી તમારી માતા સાથે ઝઘડો કરે છે. જેથી હર્ષદભાઇ તાત્કાલિક ઘરે આવ્યા હતા. બાદમાં લલીબેનને કેમ મારી માતા સાથે ઝઘડો કરો છો પૂછતા તે મારા ઘરે પોલીસને બાતમી કેમ આપી મોકલેલ છે કહીને ઝઘડો કર્યો હતો. જેથી હર્ષદભાઇએ હું કંઇ જાણતો નથી કહેવા છતા લલીબેને પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ દરમ્યાન લલીબેનના ભાઇ રાજા, બબલુ અને બિપકુએ આવ્યા હતા. હર્ષદભાઇની માતા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આટલું જ નહિ રાજાએ જાતે બ્લેડના ઘા મારીને હું નોકરીમાંથી કઢાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે હર્ષદભાઇએ ચારેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.










