અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બળીયાદેવ મંદિર પાસે કૌટુંબિક ઝઘડામાં એક ગંભીર અને કરૂણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. રિસાઈને પિયર જતી રહેલી પત્નીને તેડવા માટે પહોંચેલા પતિ પર પત્નીના ભાઈઓએ અચાનક હુમલો કરી દીધો હતો. સમાધાન ન થતાં ઉશ્કેરાયેલા સાળાઓએ પોતાના જ બનેવી પર હુમલો કરી સ્થળ પર જ તેની કરપીણ હત્યા નીપજાવી હતી.

પત્નીના 4 ભાઈઓએ ભેગા મળી નીપજાવી હત્યા

સમગ્ર ઘટનાની વિગત અનુસાર, બંને પરિવારો વચ્ચે પત્નીને પરત મોકલવા બાબતે લાંબી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી, પરંતુ કોઈ આખરી સમાધાન થઈ શક્યું નહોતું. જે બાદ મામલો વધુ બિચકતાં પત્નીના બે સગા ભાઈઓ અને બે પિતરાઈ ભાઈઓ સહિત કુલ ચાર જણે ભેગા મળીને બનેવી પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અમરાઈવાડી પોલીસે ફરાર 2 સાળાની શોધખોળ શરૂ કરી

ઘટના અંગે જાણ થતાં જ અમરાઈવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો