અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બળીયાદેવ મંદિર પાસે કૌટુંબિક ઝઘડામાં એક ગંભીર અને કરૂણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. રિસાઈને પિયર જતી રહેલી પત્નીને તેડવા માટે પહોંચેલા પતિ પર પત્નીના ભાઈઓએ અચાનક હુમલો કરી દીધો હતો. સમાધાન ન થતાં ઉશ્કેરાયેલા સાળાઓએ પોતાના જ બનેવી પર હુમલો કરી સ્થળ પર જ તેની કરપીણ હત્યા નીપજાવી હતી.
પત્નીના 4 ભાઈઓએ ભેગા મળી નીપજાવી હત્યા
સમગ્ર ઘટનાની વિગત અનુસાર, બંને પરિવારો વચ્ચે પત્નીને પરત મોકલવા બાબતે લાંબી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી, પરંતુ કોઈ આખરી સમાધાન થઈ શક્યું નહોતું. જે બાદ મામલો વધુ બિચકતાં પત્નીના બે સગા ભાઈઓ અને બે પિતરાઈ ભાઈઓ સહિત કુલ ચાર જણે ભેગા મળીને બનેવી પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
