અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શરૂ કરવામાં આવેલી વિશેષ "શ્રાવણ બસ સેવા" અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ લોકપ્રિય બસ સેવાને આવતીકાલથી આગામી 3 દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક આકસ્મિક કારણોસર આ સેવા હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું AMTS વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પૂર્વ નિર્ધારિત ટૂર અંગે સ્પષ્ટતા 

શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન અર્થે આ વિશેષ બસો ચલાવવામાં આવે છે, જેને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આકસ્મિક સંજોગોને કારણે બસ સેવા મોકૂફ રાખવાની ફરજ પડી છે. AMTS વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ 3 દિવસના ગાળા દરમિયાન જે ટૂર પહેલાથી જ રજિસ્ટર થઈ ચૂકી છે, તેને પૂર્ણ કરવામાં આવશે જેથી અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને કોઈ અગવડ ન પડે.

આગામી નિર્ણય અંગે મુસાફરોમાં આતુરતા 

આ નિર્ણયના કારણે અચાનક મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા શ્રદ્ધાળુઓને થોડી હાલાકી વેઠવી પડશે. 3 દિવસ બાદ આ સેવા પૂર્વવત ક્યારથી શરૂ થશે તે અંગે AMTS દ્વારા ટૂંક સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને આગળની માહિતી આપવામાં આવશે. તંત્ર દ્વારા મુસાફરોને આકસ્મિક ફેરફાર બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો