અસારવા સિવિલ હોસ્પિટલને 25મું સ્કિન ડોનેશન મળ્યું છે, સિવિલ કેમ્પસની હાર્ટ હોસ્પિટલમાં મૃતક દર્દીની ત્વચા લઈ સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટરોએ દાન સ્વીકાર્યું હતું. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી મળેલું આ પ્રથમ સ્કિન દાન છે.


સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદેએ જણાવ્યું હતું કે, 7મી ઓક્ટોબરના રોજ સિવિલ કેમ્પસમાં આવેલી હાર્ટ હોસ્પિટલમાં દાખલ 61 વર્ષીય અમિત શાહ નામના દર્દીનું મોત થયું હતું. મૃતકના સગાએ ત્વચાનું દાન કરવા માટે સમજાવટ બાદ સંમતિ આપી હતી. સિવિલ હોસ્પિટલ સ્કિન બેંકના ડોક્ટરોની ટીમે યુ.એન. મહેતા હોસ્પિટલમાં જઇ મૃતકના બરડાના ભાગેથી ચામડી મેળવી હતી. તબીબોનું કહેવું છે કે, દાનમાં મળેલી ચામડી બાયોલોજીકલ સ્કિન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલી ચામડી નીકળી જાય છે

અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે અને દાઝયા બાદ શરૂઆતના સમયમાં થતાં શરીરમાંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ 25મું સ્કિન દાન મળ્યું છે. સ્કિન દાન માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સ્કિન બેંકનો 428265875 નંબર ઉપર સંપર્ક કરવાનો રહે છે.


  • Follow us on: