મણિનગરમાં ગોરના કૂવા નજીક આવેલ રાજ ચેમ્બર આગળ અને જશોદા ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર સાંજના સમયે મોટો ભૂવો પડયો છે.


રોડ પર એક ભૂવો પહેલાથી જ પડયો હતો જેના નજીકમાં જ બીજો ભૂવો પડયો ઉપરાંત તેમાં કારનું આગળનું વ્હીલ ગરકાવ થઈ ગયું હતું. કારમાંથી પરિવારના ચારેક સભ્યોને સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમાર્ગ હોવાના કારણે ભૂવો પડતા ટ્રાફિકજામની સ્થિતિ પણ ઊભી થઈ હતી. આ રોડ પરથી એસટીની બસો અને શહેરની બહાર નેશનલ હાઈવે પર અવરજવર કરતાં વાહનો પસાર થાય છે. જેના કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા ગત વર્ષે જ રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવી હોવાનો પુરાવો મળી રહ્યો છે.

મણિનગરમાં ગોરના કૂવા નજીક હાલમાં જ રોડ પર રાજ ચેમ્બર પાસે એક ભૂવો પડયો છે અને તેના રિપેરિંગની પણ કામગીરી ચાલુ છે. જેના માટે બેરિકેટ લગાવીને પૂરાણ કરીને રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તેનાથી થોડાં જ અંતરે વધુ એક ભૂવો પડતા સ્થાનિકોમાં રોડના રિપેરિંગની કામગીરી અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વષે આજ માર્ગ પર ચોમાસામાં પાંચ ભૂવા પડયા હતા, ત્યાર બાદ બે મહિનાના સમયગાળામાં વધુ ચાર ભૂવાઓ પડતા માર્ગનો એક તરફનો રસ્તો ત્રણથી ચાર મહિના સુધી બંધ કરીને ડાયવર્ઝન અપાયું હતું. જે પછી રિપેરિંગ અને લેવલિંગની કામગીરી પણ થઈ હતી. ફરી ભૂવો પડતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.


  • Follow us on: