શહેરના નારોલ મટનગલીમાંથી એક્ટિવા પર પસાર થતાં દંપતીનું વીજ કરંટથી મોત નીપજવાનાં મામલે AMC સત્તાધીશો ઉપર માછલા ધોવાઇ રહ્યાં છે. આ મામલે મ્યુનિ. સત્તાધીશોએ પોતાનાં બચાવ માટે લાઇટ ખાતાનાં ટેક્નિકલ સુપરવાઇઝર જિજ્ઞેશ ગામિત અને આસિસ્ટન્ટ ઇજનેર પંકજ મચ્છારને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ફાઇલ તૈયાર કરીને AMC કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે.
લાઇટ ખાતાનાં ઉપરી અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો થવા છતાં વિજિલન્સ તપાસ હાથ ધરીને કોઈ પગલાં લેવાતા નથી અને બીજી તરફ આ ઘટનામાં નીચલી કેડરના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાય તે યોગ્ય નથી. આમ લાઇટ ખાતાનાં કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. લાઇટ ખાતાનાં કર્મચારીઓની ઉગ્ર રજૂઆતોને પગલે ડે. કમિશનરે લાઇટ ખાતાનાં ચીફ એન્જિનિયર નિનામા તથા અન્ય બે ખાતાનાં વડા અધિકારીઓને બોલાવીને આ મામલે શું થઇ શકે ? તે અંગે સઘન ચર્ચા કરી હતી. પોલીસે મ્યુનિ.નાં ટેકનીકલ સુપરવાઇઝર તથા આસિસ્ટન્ટ ઇજનેર અને સ્ટ્રીટલાઇટ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ લેનાર નિશાંત એન્ટરપ્રાઇઝનાં ત્રણ જણા સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.










