રોડ રસ્તાની બિસમાર સ્થિતિ હોવાના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે તે વાત બાદ ઘણાં સ્થાનો પર સ્પીડ બ્રેકર મુકવામાં ન આવતાં અકસ્માત સાથે સામાન્ય લોકોને રોડ ક્રોસ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.


નરોડા-દહેગામ રોડ પરના એનાસણ સુધી અનેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ ગ્રામ્ય અને રિંગરોડને જોડતાં વિસ્તાર પર છેલ્લા એક વર્ષથી ડિવાઈડર અને સ્પીડ બ્રેકર ન મુકવામાં આવતાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. બેફામ કાર અને મોટા વાહનોની બેફામ અવરજવરના કારણે લોકોને રોડ ક્રોસ કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. આ માટેની સ્થાનિકોએ ઘણી વખત રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી રહી નથી. AMC અને ઔડા સ્પીડ બ્રેકર મુકવા માટેની ફરિયાદ ટલ્લે ચઢાવતાં સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરને જોડતાં નરોડા-દહેગામ રોડ પર ભારે વાહનોની અવરજવર થતી રહે છે. આ વચ્ચે એનાસણ ગામ પાસે દૈનિક ધોરણે અકસ્માત થઈ રહ્યા છે. રોડ ક્રોસ કરતાં સમયે રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ત્યાંથી ઔડાની ઓફિસમાં ફરિયાદ કરવા કહ્યું હતું, જ્યારે ઔડાના અધિકારી આ રોડ AMCની હદમાં હોવાનું ગણાવી રહ્યાા છે. જેના કારણે રોડ પર સામાન્ય સ્પીડ બ્રેકર કે ટ્રાફિકની લાઈટ લગાવવાની કામગીરી પણ ટલ્લે ચઢી ગઈ છે. આ માટે ગ્રામ્ય પોલીસથી લઈ ઔડા સુધી તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજી સુધી કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. થોડાં સમય પહેલાં જ આ વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા, જે પછી રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું પણ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. આથી ફરી અકસ્માત બને તેવો લોકોમાં ભય છે. તંત્ર દ્વારા અકસ્માતની સ્થિતિ જાણીને જરૂરી પગલાં ભરી લોકોના જીવ બચાવવા માટે કામગીરી કરવી જોઇએ.


  • Follow us on: