મહીસાગરના લુણાવાડા તાલુકાના દોલતપુરામાં હાઈડ્રોપાવર પ્લાન્ટના સંચાલકો, અધિકારીઓની ગુનાઈત બેદરકારીના કારણે પાંચ નિર્દોષ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલની બીજી એક કંપની અજન્ટા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જેનો 12 મેગાવોટના ટર્બાઇન પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીના ડૂબી જવાથી મોત થયા છે.
જીવ ગુમાવનાર વ્યક્તિઓના શરીર 50 કલાકે SDRFની મહામહેનતથી પરિવારોને મળ્યા હતા. કડાણા ડેમ દ્વારા 3 લાખ ક્યુસેક પાણી છોડવાની લેખિત માહિતી દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા છતાં કર્મચારીઓને 200 ફૂટ નીચે કામ કરવા શું કામ મોકલવામાં આવ્યા હતા તે મોટો સવાલ છે. સાવધ કરવાની માહિતી સરકારના મંત્રી કુબેર ડિંડોર દ્વારા ઘટના બાદ કરવામાં આવી હતી. પાંચના મોત છતાં એક પણ વ્યક્તિની ધરપકડ કેમ કરાઈ નથી, આવો ઉપકાર શેના માટે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઊભા કરાયો છે.
મોરબી બ્રિજ વખતે બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા અને હવે પાવર પ્લાન્ટની બેદરકારીથી પાંચ લોકોના મોત થયા છે. મોરબી બ્રિજ કાંડની આટલી મોટી બેદરકારીથી શું અજંટા - ઓરેવા કંપનીએ કોઈ બોધપાઠ ના લીધો? કડાણા ડેમથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાના આદેશ હતા, તો 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને કોને ઉતારવાના આદેશ આપ્યા હતા? બેદરકારીની હળવી કલમો જોડે ફરિયાદ તો નોંધાઈ,પણ આમાં ગુનાહિત બેદરકારી નથી? શું આમાં સાપરાધ માનવ વધનો ગુનો નોંધવો જોઈએ કે નહી? કોને બચાવવામાં આવી રહ્યા છે? કંપની દ્વારા સહાયની જાહેરાત તો થઈ, પણ ગુનાહિત બેદરકારીથી જેમણે પોતાના પતિ, દીકરા, પિતા ગુમાવ્યા તેમને પોતાના પરિવારજનો પાછા મળશે? ક્યાં સુધી ઓરેવા અજંટા કંપની આ પ્રકારની ગુનાહિત બેદરકારી કરતી રહેશે? ગુનાહિત બેદરકારીથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ બાદ એક પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી. ગંભીર ઘટના છતાં કયા ચમરબંધીને પકડયા? ચમરબંધીઓને નહિ છોડવાની વાતો કરતી ભાજપ સરકાર કેમ ચમરબંધીઓને છાવરી રહી છે? વિપક્ષે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ, સુરત તક્ષશીલા, વડોદરા હરણી, રાજકોટ ટીઆરપી કાંડ જેવી ઘટનાઓમાં ક્યારે બોધપાઠ લેશું તે સમજાતું નથી?