ભાદરવા વદ નોમ એટલે કે અવિધવા (ડોશી) નોમ નિમિત્તે સોમવારે માતૃશ્રાદ્ધ કરાવી માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા હજારો પરિવારો સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરમાં ઉમટયા હતા. પવિત્ર બિંદુ સરોવરમાં પોતાના પરિવારના કુળગોર પાસે માતૃશ્રાદ્ધ વિધિ કરાવી માતૃઋણમાંથી મુક્તિ મેળવી માતાને મોક્ષ આપ્યાની અનુભુતિ કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ જતાં બિદુ સરોવરમાં શ્રદ્ધાળુઓનો મહિસાગર ઉમટી પડયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


ઐતિહાસિક નગરી સિદ્ધપુર કપિલ આશ્રમ બિંદુ સરોવર ખાતે ભાદરવા વદ નોમને ડોશી નોમ (અવિધવા નવમી) નિમિત્તે સોમવારે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સહિત ઉમટી પડયા હતા. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ અને મધ્ય ગુજરાત સહિત દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ સહિતના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરિવારો પોતાના પરિવારોના કુળગોર પાસે શાસ્ત્રોકત વિધિ કરાવી માતૃઋણમાંથી મુક્ત થયા હતા.

અમિતાબ બચ્ચનથી લઈ દેવગૌડાએ માતૃશ્રાદ્ધ કર્યું હતું

બોલીવુડમાં સદીના નાયક કહેવાતા અમિતાભ બચ્ચન હોય કે ક્રિકેટર અજીત અગરકર હોય કે ઉમા ભારતી હોય તેઓ પોતાની માતાની શ્રાદ્ધ વધિ કરવા માટે સિદ્ધપુર આવ્યા હતા. આ ઉપરાંત નરસિંહ મહેતા, પૂજ્ય જલારામ બાપા, સત્તાધારના મહંત શામજી બાપુ, પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાજી સહિતના દેશના ગૌરવ કહેવાતા વ્યક્તિઓએ સિદ્ધપુરમાં તેઓના માતૃશ્રીની શ્રાદ્ધ વિધિ કરી હતી.

શ્રાદ્ધ પક્ષમાં સિદ્ધપુર શહેર, હાઈવેની હોટલો હાઉસફૂલ

ભાદરવો, કારતક અને ચૈત્ર એમ ત્રણ માસમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ હોવાથી દેશના અલગ અલગ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં અગાઉથી જ હોટલોના ઓનલાઈન અને એડવાન્સ બુકિંગ કરીને આવે છે. આ ત્રણ માસ સિદ્ધપુર શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ તેમજ હાઈવે ઉપર આવેલી હોટલો હાઉસફૂલ થઈ જાય છે. બિંદુ સરોવર પ્રાંગણમાં પણ અતિથિઓ માટે રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


  • Follow us on: