ભાદરવા વદ નોમ એટલે કે અવિધવા (ડોશી) નોમ નિમિત્તે સોમવારે માતૃશ્રાદ્ધ કરાવી માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા હજારો પરિવારો સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરમાં ઉમટયા હતા. પવિત્ર બિંદુ સરોવરમાં પોતાના પરિવારના કુળગોર પાસે માતૃશ્રાદ્ધ વિધિ કરાવી માતૃઋણમાંથી મુક્તિ મેળવી માતાને મોક્ષ આપ્યાની અનુભુતિ કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ જતાં બિદુ સરોવરમાં શ્રદ્ધાળુઓનો મહિસાગર ઉમટી પડયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઐતિહાસિક નગરી સિદ્ધપુર કપિલ આશ્રમ બિંદુ સરોવર ખાતે ભાદરવા વદ નોમને ડોશી નોમ (અવિધવા નવમી) નિમિત્તે સોમવારે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સહિત ઉમટી પડયા હતા. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ અને મધ્ય ગુજરાત સહિત દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ સહિતના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરિવારો પોતાના પરિવારોના કુળગોર પાસે શાસ્ત્રોકત વિધિ કરાવી માતૃઋણમાંથી મુક્ત થયા હતા.










