અમદાવાદ શહેરના ઘુમાથી સાણંદ રોડ તરફ દીપડો હોવાની આશંકા વચ્ચે વન વિભાગ દ્વારા ગઈકાલથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કામગીરી અને સર્ચ ઓપરેશન અંગે સાણંદના આરએફઓ હરેશ દેસાઈએ સત્તાવાર નિવેદન આપતાં સ્પષ્ટતા કરી છે કે, વન વિભાગની ટીમો સતત વિસ્તારમાં તપાસ કરી રહી છે પરંતુ સર્ચ દરમિયાન અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ દીપડો દેખાયો હોવાની કે તેના હાજર હોવાની પુષ્ટિ થઈ નથી.

તમામ જગ્યાઓ અને અવાવરું વિસ્તારોમાં તપાસ

RFO હરેશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દીપડાને અનુકૂળ હોય તેવી શક્યતાઓ વાળી તમામ જગ્યાઓ અને અવાવરું વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા સંવેદનશીલ ગણાતી ચાર અલગ-અલગ જગ્યાઓ પર ખાસ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.

ઝુંડાલમાં આ દીપડો હોવાની શક્યતા નહિવત

બીજી તરફ ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર દીપડો દેખાયાના દાવાઓ અંગે વાત કરતા RFO એ જણાવ્યું હતું કે, ઝુંડાલ અર્બન વિસ્તાર હોવાથી ઘુમા-સાણંદ પંથકમાંથી જ આ દીપડો ત્યાં ગયો હોવાની શક્યતા નહિવત છે. આ વિસ્તારમાં દીપડાની હાજરીના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હોવા છતાં, જ્યાં સુધી પૂરેપૂરી પુષ્ટિ ન થાય ત્યાં સુધી વન વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ચાલુ રહેશે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી