અમદાવાદ શહેરમાં માર્ગોની ખરાબ હાલત બાદ હવે ફ્લાયઓવર બ્રિજની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા ગોતા બ્રિજ પર મોટા ગાબડાં પડી ગયા છે અને બ્રિજની વચ્ચેથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ જોખમી સ્થિતિના કારણે હજારો વાહનચાલકો રોજીંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી અને અકસ્માતના ભયનો સામનો કરી રહ્યા છે.

ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ 

ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ અને ખુલ્લા સળિયાઓને કારણે વાહનોના ટાયર ફાટવાનો અને ગંભીર અકસ્માત થવાનો સતત ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે દૃશ્યતા ઓછી હોવાથી દ્વિચકી વાહનચાલકો અને કાર સવારો આ ખાડાઓમાં ફસાઈને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. બ્રિજની શરૂઆત અને છેડાના ભાગે પણ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે, છતાં સત્તાધીશો અને જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

ઘોર બેદરકારી સામે ભારે રોષ 

સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાથી બનતા વિકાસના આ માર્ગો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું હોવા છતાં વહીવટી તંત્ર ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન બન્યો છે. જનતાની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગોતા બ્રિજનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે. 


આ પણ વાંચો :  Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?