નારોલ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં શહેરમાં સૌથી મોટા દબાણ હટાવવા માટેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.


જેના થોડાં જ દિવસોમાં તળાવની આસપાસ ફરી નાના મોટા દબાણ ઉભા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તળાવની ફરતે દીવાલ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ સૂરજનગર પોલીસ ચોકી તરફથી તળાવ તરફના ભાગમાં અંદર કેટલાંક કાચા પાકા ઝૂંપડાં ઊભાં થઈ ગયા છે. ચંડોળા તળાવમાં એક તરફ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ ઊભી કકરવામાં આવી રહી છે ઉપરાંત તળાવને ઊંડું કરવા માટેની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં દબાણ ઊભાં થઈ જતાંં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયાં છે.

એપ્રિલ અને મે મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની અંદર અને તેના આસપાસના વિસ્તારમાં દબાણ હટાવવા માટેની કામગીરી માટેનું સૌથી મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તકેદારીના ભાગ રૂપે તળાવની આસપાસ આરસીસીની દિવાલ પણ ઊભી કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.

ચંડોળા તળાવની અંદર કેટલાંક ભાગોમાં નાના મોટા ઝૂંપડા ઊભા થઈ ગયા છે. સાથે જ એક તરફ નારોલ બીઆરટીએસ સ્ટેન્ડ તરફથી તળાવ ઊંડું કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરાંત તળાવની ફરતે દીવાલ બનાવીને દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ ચંડોળા તળાવમાં કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આટલું કામ ચાલુ હોવા છતાં તળાવની આસપાસના કેટલાંક વિસ્તારોમાં ફરી ગેરકાયેદસર કબજો થઈ રહ્યો હોઈ તંત્રની કામગીરી સામે સવાલોનો ખડગલો ઊભો થવા પામ્યો છે. જે લોકો દ્વારા દબાણ કરાયું છે તેમને તંત્ર કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે. અગાઉ બે વખત કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તેની સામે અત્યારે બેરોકટોક રીતે દબાણ ઊભા થઈ ગયા છે.


  • Follow us on: