રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોને ચાલુ વર્ષ-2025-26 માટે સ્કૂલ ફી પેટે રૂ.13,500 સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી સરકારની સૂચના અન્વયે સુરત બાદ અમદાવાદ શહેર અને જિલ્લાની સ્કૂલોમા પણ અરજીઓ મગાવવાની પ્રક્રિયા આજથી શરૂ કરાઈ છે. વાલીઓને સ્કૂલમાં અરજી રજૂ કરવા માટે 22મી જુલાઈ સુધીની મુદત અપાઈ છે. વાલીઓ પાસેથી આવેલી અરજીઓ સ્કૂલો પાસેથી એકત્ર કરવા શહેર DEO કચેરીએ 6 સ્થળ અને ગ્રામ્ય DEO કચેરીએ 7 સ્થળ નક્કી કર્યાં છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ પરિબળોને કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને એકમોને સહાય આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો અને એ સંદર્ભે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 24મી મેના રોજ એક પરિપત્ર પણ પ્રસિદ્ધ કર્યો હતો જે મુજબ, રત્ન કલાકારોના સંતાનોને વર્ષ-2025-26 માટે સ્કૂલ ફી પેટે રૂ.13,500 સુધીની સહાય ચૂકવવામાં આવશે. જેના અનુસંધાને સુરતમાં અરજીઓ મગાવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના કારીગરોના સંતાનોને સહાય ચૂકવવા માટે તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક બોલાવવામાં આવી હતી.


અમદાવાદમાં એક લાખથી વધુ કારીગરો હોવાનો અંદાજ

અમદાવાદમાં રત્નકલાકાર એસોસિએશનના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાં 800થી વધુ જ્યારે જિલ્લા સહિત 1,500થી વધુ કારખાનાં હોવાનો અંદાજ છે. જેમાં 1 લાખથી વધુ રત્નકલાકારો કામ કરતાં હોવાનો અંદાજ છે.


  • Follow us on: