શહેરના નવરાત્રિનો અનેરો રંગ અને ઉત્સાહ રહેલો હોય છે. જેમાં પૂર્વના નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવમાં વિવિધ સોસાયટી અને ફ્લેટ્સમાં મોટા નાના સૌ ભેગા મળીને પારંપરિક રીતે શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરે છે.
આ દરમિયાન હવે પર્યાવરણની જાળવણીથી લઈ ધ્વનિ પ્રદુષણ ન થાય તેવા સંદેશ આપવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં નાના બાળકો અને મહિલા-યુવતીઓ પોતાના ઘર આંગણે જ સુરક્ષિત રહે તેવી રીતે ઉજવણી કરવા માટે વિવિધ સોસાયટીના આયોજકો પગલાં ભરી રહ્યા છે. આ માટે સોસાયટીના લોકોના સ્વસ્થ્ય પણ જળવાઈ રહે તેના માટે નાસ્તામાં પણ કાળજી રાખવામાં આવી રહી છે.
વર્ષો જૂની નરોડામાં આવેલી પાયલ પાર્કમાં નવરાત્રિના સૌથી મોટા ગરબાનું આયોજન સોસાયટીના આગંણે જ કરવામાં આવે છે. આ અંગે સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, દર વર્ષે સ્વચ્છતા માટેનો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વખતે પણ સ્વચ્છતાની સાથે લોકોમાં સુરક્ષા અંગેની ધ્યાન રાખવા માટે સુચના આપવામાં આવે છે. તેમજ એકત્ર થતી ભીડને યોગ્ય રીતે મેનેજ કરવા માટે પણ સોસાયટીના લોકો દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત અને મહિલા સુરક્ષા અંગેનો મેસેજ આપી લોકોને જાગૃતિનો મેસેજ આપવામાં આવી રહ્યો છે.
જ્યારે ઈક્લેટ હાઈટ્સના ચેરમેન વિજય ભાઈએ જણાવ્યું કે, સોસાયટીમાંથી ફરજિયાત ઉઘરાણું ન કરતા ભક્તિભાવથી મળતો સ્વૈચ્છિક ફળો સ્વીકારીએ છીએ. તેમજ મ્યુઝિક સિસ્ટમનો અવાજ પણ માપસરનો રાખીને કોઈને પણ નુકસાન ન પહોંચે તેની કાળજી રાખવામાં આવે છે. આ માટે યુવાનો અને વડીલો સાથે સહકાર આપે છે. તેમજ નાસ્તામાં પણ હેલ્ધી ફૂડ આપવાની કાળજી રાખવામાં આવશે.
ઓઢવ ગામમાં વર્ષો જૂના ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પલ્લીના મેળા જેવી રીતે દશેરાએ માંડવી ભરાઈ છે. જેના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, દશેરાના દિવસે સવારે પારંપરિક સેમોલ માતાની માંડવી નીકળે છે અને તેમાં ગામના તમામ લોકો ભાગ લે છે. જેના સાથે જ સવાર સુધી ગરબા યોજાઈ છે.