ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણી દરમિયાન શિક્ષકોની મોટી બેદરકારી સામે આવી છે. મૂલ્યાંકન કામગીરી દરમિયાન થયેલા ગંભીર છબરડા બાદ બોર્ડ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉત્તરવહી તપાસમાં ભૂલો કરનારા કુલ 3,334 શિક્ષકો સામે બોર્ડે દંડાત્મક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગુણવત્તા સાથે થતા ચેડાંને અટકાવવા માટે બોર્ડે આ વખતે આકરા પગલાં લીધા છે.
112 ગુણની ગંભીર ભૂલ અને શિક્ષકને ફટકારાયો ભારે દંડ
બોર્ડના નિયમો અનુસાર ઉત્તરવહી તપાસતી વખતે થતી ગણતરી કે મૂલ્યાંકનની ભૂલો બદલ શિક્ષકો સામે દંડાત્મક જોગવાઈ છે, જેમાં 1 ગુણની ભૂલ બદલ રૂ. 1,000 સુધીનો દંડ કરવામાં આવે છે. ધોરણ 12ની ઉત્તરવહી તપાસ દરમિયાન એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષક દ્વારા કુલ 112 ગુણની ભૂલ કરવામાં આવી હતી. આ ગંભીર ક્ષતિ બદલ તે શિક્ષકને કુલ રૂ. 11,200નો દંડ ફટકારવામાં આવ્યો છે, જે પેપર ચેકિંગમાં રહેલી મોટી બેદરકારી દર્શાવે છે.
