અમદાવાદ ગ્રામ્યનો વિરમગામ તાલુકો આસ્થા અને ભક્તિનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે. વિરમગામના ખુડદ ગામે આવેલા દશામાના પ્રસિદ્ધ મંદિર 'નિર્મલધામ' ખાતે દશામાના 10 દિવસના પવિત્ર વ્રત પૂર્ણ થયા બાદ પરંપરાગત ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે યોજાતો આ લોકમેળો છેલ્લા 30થી વધુ વર્ષોથી અવિરતપણે યોજાય છે, જે સમગ્ર પંથક માટે આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક બની રહ્યો છે.
10,000થી વધુ ભાવિકોનું મહેરામણ અને લોકસંસ્કૃતિની રંગત
આ વર્ષે પણ લોકમેળામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખુડદ તેમજ આજુબાજુના અનેક ગામોમાંથી 10,000થી વધુ ભાવિક ભક્તોએ નિર્મલધામ ખાતે દશામાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ ભક્તોએ ભાતીગળ મેળાની મજા માણી હતી, જેમાં વિવિધ સ્ટોલ્સ, ચકડોળ અને હાટડીઓ પર ભારે ભીડ જોવા મળી હતી. આખા ગામમાં ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
