અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મામલે તપાસ તેજ બનવામાં આવી છે. આ સમગ્ર ગેરરીતિઓની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ઉચ્ચસ્તરીય (હાઇલેવલ) કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની આગેવાની હેઠળ આ કમિટીની રચના કરવામાં આવી છે, જે પૂર્વ કુલપતિ સામેના તમામ આક્ષેપોની કાયદાકીય રીતે ચકાસણી કરશે.
PMJVK ગ્રાન્ટનો દુરુપયોગ અને કથિત ભરતી અંગે તપાસ
આ તપાસ કમિટી દ્વારા મુખ્યત્વે PMJVK (પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ) ની ગ્રાન્ટના કથિત દુરુપયોગ, બિનઅધિકૃત કે શંકાસ્પદ ભરતી પ્રક્રિયાઓ તેમજ સત્તાના દુરુપયોગ જેવા અત્યંત ગંભીર મુદ્દાઓને આવરી લેવામાં આવશે. પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ વહીવટી અને નાણાકીય નિર્ણયો સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરીને કમિટી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે.
