અમદાવાદમાં જમાલપુર અને કમોડ શાકમાર્કેટમાં ટ્રાફિકજામની ગંભીર સમસ્યા, પાયાની સુવિધાઓનો અભાવ, કલાકો સુધી માલ લઇને ઊભા રહેવાની લાચારીને લઇને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


રાત્રે 10 વાગ્યે માલ લઈને આવેલો ખેડૂતો જમાલપુર માર્કેટમાંથી સવારે 7:00 વાગ્યે માલ ઠાલવીને પરત ફરતો હોય છે. વરસાદથી માલ બગડવાની શક્યતા, અસામાજિક તત્ત્વોની દાદાગીરી અને પૂરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતો પરેશાન છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, જમાલપુર શાકમાર્કેટમાં ભારે અવ્યવસ્થાનો માહોલ છે. માલ વેચવા આવતા ખેડૂતોને પાંચથી સાતેક કલાક રાહ જોવી પડે છે. માર્કેટમાં જમવા માટે કેન્ટીનની વ્યવસ્થા નથી. રોડ પર જ ખુલ્લામાં માલ લઇને આખી રાત પડી રહેવું પડે છે. બીજી તરફ કમોડ શાકમાર્કેટમાં તો ટાઇલેટ, રોડ, પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા સહિતની કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા નથી. કમોડ શાકમાર્કેટ ફક્ત પતરાના શેડવાળું છે. ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં કાદવ-કિચ્ચડથી વાહનો ફસાઇ જવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

કમોડમાં રાત્રે 10 થી પરોઢના 3:30 સુધી જ માલ લેવામાં આવે છે જેના કારણે કેટલાક ખેડૂતોએ માલ લઇને પરત ફરવા સુધીની પણ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અથવા તે માલ રોડ પર જ સસ્તામાં વેચીને જવાની ફરજ પડી રહી છે. છેલ્લા ચારેક વર્ષથી કાર્યરત કમોડ શાકમાર્કેટમાં આજદીન સુધી કોઈ પણ પ્રકારની ખેડૂતલક્ષી સુવિધાઓ પુરી પડાઈ નથી. વળી સીસીટીવી કેમેરા પણ બંને માર્કેટમાં ન હોવાથી ચોરી થવાના કિસ્સા બની રહ્યા છે. તમામ અવ્યવસ્થાઓ વચ્ચે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા હોવાની પણ ફરિયાદો છે.


  • Follow us on: