અમદાવાદમાં શકરી તળાવમાં ડૂબી જતા 3 યુવાનોનું મોત થયું. શહેરમાં સરખેજ વિસ્તારમાં આવેલ શકરી તળાવમાં આ કરુણ ઘટના બનવા પામી હતી. જ્યાં ચાર યુવક કોર્પોરેશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી બોટ લઈને તળાવમાં ગયા હતા. આ યુવકો તળાવમાં પાણીમાંથી ગંદકી કાઢવાની કોર્પોરેશનની બોટ લઈ ગયા અને અચાનક શું બન્યું કે તેમની બોટ ઊંધી વળી ગઈ. અને તળાવામાં ડૂબવાના કારણે 3 યુવાનનો મોત નિપજયા.


શકરી તળાવમાં ડૂબતા 3 યુવાનના મોત

શહેરની આ ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયુ છે. યુવાનોના મોતને લઈને સત્તાધીશ પક્ષ સામે વિપક્ષ મેદાને પડ્યો છે. AMCની બેદરકારીના કારણે યુવાનના મોત થયાનો વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યું. વધુમાં કહ્યું કે તળાવના લોકાર્પણ પહેલાં જ યુવાનોના મોત થયા છે. જે બતાવે છે કે નાગરિકોની સુરક્ષા માટે તંત્ર પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. આ યુવાનો સુરક્ષાના અભાવે પોતાની કામગીરી કરતા તળાવમાં ડૂબ્યા. એકબાજુ સત્તાધીશો અને અધિકારીઓ પોતાની સુરક્ષા માટે બાઉન્સર રાખે છે. જ્યારે નિર્દોષ નાગરિકો અને કર્મચારીઓની સુરક્ષાની કોઇ ચિંતા નથી.

યુવકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું

શહેઝાદ ખાને કહ્યું કે તળાવમાં સફાઈ માટે રાખેલી બોટ બાંધી નહોતી જેના કારણે યુવકો બોટમાં ગયા અને ડૂબ્યા. AMCની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. અને આ ઘટનામાં જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી. ઉલ્લેખનીય છે કે સરખેજના શકરી તળાવમાં ડૂબવાના કારણે 3 યુવકનું મૃત્યુ થયું. યુવકોના મોત થયાની ઘટના સામે આવતા સમગ્ર સરખેજ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. શકરી તળાવની ઘટનાને લઈને રાજ્યભરના તળાવો અને જળાશયોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે.

  • Follow us on: