પીએમ મોદીએ શિક્ષક દિને શિક્ષકોને 'સ્વદેશીનો પ્રચાર' કરવાનુ હોમવર્ક આપ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે શિક્ષકો તેમનાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપતા હોય છે પણ સિસ્ટમમાં બદલાવનાં ભાગરૂપે તેઓ શિક્ષકોને હોમવર્ક આપવા માંગે છે. તેમણે શિક્ષકોને સ્વદેશીનો પ્રચાર કરવા તેમજ વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા માટે વિદ્યાર્થીઓની સાથે મળીને પ્રચાર અભિયાન ચલાવવા અનુરોધ કર્યો હતો. મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથેની વાતચીતમાં સ્કૂલોને 'સ્વદેશી દિવસ' કે 'સ્વદેશી સપ્તાહ' મનાવવા આગ્રહ કર્યો હતો. વિદ્યાર્થીઓ પોતાનાં ઘરેથી સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો લાવવા અને તેમનાં અનુભવો લોકોને જણાવવા અપીલ કરી હતી. મોદીએ શિક્ષકોને કહ્યું કે આજે હું એવું કામ કરવા જઈ રહ્યો છું જે તમે લોકો કાયમ માટે કરતા આવ્યા છો. આજે હું તમને સૌને સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવા માટેનું અભિયાન ચલાવવાનું હોમવર્ક આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે તમે આ કામ પૂરું કરશો.


વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો :

મોદીએ કહ્યું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમનાં ઘરેથી સ્વદેશી ઉત્પાદનો લાવવા પ્રોત્સાહન આપવું જોઈએ અને તે અંગે ચર્ચા કરવી જોઈએ. વિદ્યાર્થીઓ સ્વદેશી ઉત્પાદનોનાં ટેકામાં હાથમાં પ્લેકાર્ડ લઈને ગામડાઓમાં માર્ચ કાઢી શકે છે. આવું કરવાથી નાગરિકો મેડ ઈન ઈન્ડિયાનો ઉપયોગ કરતા શીખશે. સ્થાનિક ઉત્પાદકો માટે વોકલ થવા પ્રોત્સાહિત થશે. તેમણે સ્કૂલોમાં કલા અને શિલ્પ સમારંભો યોજીને લોકોને સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવા જાગૃત કરવા અપીલ કરી હતી. જેથી ભારતમાં બનાવેલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવા અને ગૌરવ અનુભવવાની ભાવનાને વેગ આપી શકાય. તેમણે સ્વદેશી ઉત્પાદનોનાં મૂળ સુધી પહોંચવા અને તેને બનાવવારાઓને રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ વધારવા ચર્ચાઓ યોજવા સૂચન કર્યું હતું. મોદીએ કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધારા ચાલુ રહેશે.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક કારીગરો વચ્ચે સંવાદ

મોદીએ વિદ્યાર્થીઓ અને સ્થાનિક કારીગરો વચ્ચે સંવાદ યોજવા હાકલ કરી હતી. જન્મદિવસે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા સંકલ્પ કરવા કહ્યું હતું આવા પ્રયાસોથી યુવાનોમાં દેશભક્ત અને આત્મવિશ્વાસ તેમજ શ્રમ પ્રત્યે સન્માન વધશે અને તેમની વ્યક્તિગત સફળતાને રાષ્ટ્રીય પ્રગતિ સાથે જોડી શકાશે.


  • Follow us on: