વરસાદ બાદ જ્યાં એક તરફ રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત હવે ખોખરા થી લઈ રોપડાબ્રિજથી વટવા, રામોલ-હાથીજણ જતાં રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાથી લઈ બિસ્માર રસ્તા અંગે સ્થાનિકોની વારંવાર ફરિયાદ રહી છે.


તેમ છતાં ઔડા અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોએ અંધારામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. આ માટે સ્થાનિકો દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ તેનો નિકાલ કર્યા વગર બંધ કરી દેવામાં આવે છે. તેમજ અકસ્માત અને રસ્તા પર મુકવામાં આવેલી ગાડીઓમાં ચોરીની ઘટના બની રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. ચોમાસામાં રોડ રસ્તાની બિસ્માર સ્થિતિમાં એક તરફ લોકો લાંબા સમયથી પરેશાન છે ત્યાં બીજ તરફ સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાના કારણે અકસ્માત સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે ફરિયાદ કરતાં રોપડા અસલાલી રિંગરોડના સ્થાનિકોએ જણાવ્યું કે, પૂર્વના છેવાડાના પાસે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવી રહી નથી. જેના અંગે ત્યાંથી પસાર થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એસપી રિંગરોડ પર અસલાલી સર્કલ નજીકથી રોપડા સુધીના રોડ પર વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવામાં આવી રહી નથી. તેમજ કેટલાંક સ્થાનો પર થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા નથી. આ તરફ ભારે વાહનોની પણ અહીં પુષ્કળ અવરજવર થતી રહે છે તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. જેના માટે ઓનલાઈન વોટ્સએપ પર પણ ફરિયાદ કરવામાં પણ કોઈ જ કામગીરી થઈ રહી નથી. આ માટે લોકોની અગવડ વધી રહી છે પણ તંત્રની આંખો ઉઘડી રહી નથી. જ્યારે બીજી તરફ ખોખરામાં આવેલ સર્વોદય નગર પાસે વરસાદમાં છાશવારે સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતાં સ્થાનિકોને અંધારામાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટનો અસામાજિક તત્વોને પણ લાભ મળી જાય છે. જેના કારણે ત્યાં મુકવામાં આવેલી ગાડીઓમાં અને દુકાનોમાં નાની મોટી ચોરીની ઘટના વધી રહી છે. તેમજ રસ્તા પરના ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બની જવાની પણ ઘટના વધી રહી છે. તંત્રે સત્વરે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પુનઃ ચાલુ કરાવવા માટે પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકો નીમાંગણી છે. તેમજ ઓનલાઈન ફરિયાદ કરવા છતાં પણ કામગીરી કરવામાં આવી રહી નથી જેના પર પણ અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી છે.

  • Follow us on: