દક્ષિણ ઝોનમાં આવેલા જશોદાનગર ચાર રસ્તાથી કિષ્કિંધા સોસાયટીના ટીપી રોડ પર છેલ્લા ઘણાં સમયથી દબાણ હતા. જેના પર આખરે મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે. જેમાં 24 ઝૂંપડાં તોડી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જ્યારે ઋષિકેશ નગર સોસા. ગેટ પાસે 132 ફૂટના રિંગ રોડ પર ધાર્મિક પ્રકારના બાંધકામ ઊભું થઈ ગયું હતું. ટ્રાફિકમાં અડચણ રૂપ બની ગયેલા ધાર્મિક સ્થાનને હટાવવા માટેની લાંબા સમયથી માગણી કરાઈ હતી. જેના પર ખોખરા પોલીસ સ્ટેશનની મદદથી દબાણ હટાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વટવામાં આવેલા વાનરવટ તળાવમાં જર્જરિત પ્રકારનું બાંધકામ પણ હટાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં જાહેર માર્ગ અને બીઆરટીએસ રોડ પર આવેલા 7 નંગ લારી-ગલ્લા, 56 પરચુરણ માલસામાન તેમજ 8 વાહનોને લોક મારીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જેના સાથે જ રૂ.10,600 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. રોડ પર નડતર રૂપ બાંધકામ સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે.










