શહેરના સિંધુભવન, બોડકદેવ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, ગોતા, અમરાઇવાડી, નિકોલ સહિત સમગ્ર અમદાવાદમાં દિવાળીએ આખી રાત લોકોએ ફટાકડા ફોડીને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસી તૈસી કરી હતી. આટલુ જ નહીં, સિંધુભવન રોડ પર ભારે ટ્રાફિક જામ થતાં પોલીસ એક બંગલે પહોંચીને ફટાકડા ન ફોડવા તેવુ સમજાવીને પોલીસ સ્ટેશન જતા રહ્યા હતા. આ ઉપરાંત, દિવાળીની આખી રાત આવારા તત્વોએ ફટાકડા ફોડીને રસ્તાઓ બાનમાં લઈને રાહદારી અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકયા હતા.
શહેરમાં પ્રદૂષણ વધી ન જાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રાતના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવા માટે જાહેરનામું બહાર પાડયુ હતુ ત્યારે સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, નિકોલ, અમરાઇવાડી, બોડકદેવ સહિતના વિસ્તારોમાં દિવાળીએ આવારા તત્વોએ આખી રાત ફટાકડાઓ ફોડીને સમગ્ર રસ્તાઓ બાનમાં લીધા હતા. જાહેરનામાની ગંભીરતા કોઈએ લીધી નહોતી તેને કારણે મોટાપાયે પ્રદૂષણની સમસ્યા વકરી હતી. સિંધુભવન રોડ પર આવેલા એક બંગલાના માલિકે આતાશબાજી ફોડવા પાર્કિંગમાંથી ગાડીઓ રોડ પર પાર્ક કરી હતી અને મોડી રાત સુધી ફટાકડા ફોડયા હતા. બીજી તરફ, બોડકદેવ પોલીસને જાણ થતાં તાત્કાલિક એક ટીમ પહોંચી હતી પરંતુ પોલીસે માત્ર ફટાકડા ન ફોડવા માટે બંગલા માલિકને સમજાવીને ત્યાંથી રવાના થઇ ગઇ હતી. જો કે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનાંમાની અમલવારી કરાવી નહોતી. અને બંગલાના માલિક સામે ગુનો પણ નોંધવાની તસ્દી લીધી ન હતી.










