અમદાવાદ શહેરના હૃદયસમા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી નદીના પટમાંથી, નેહરુ બ્રિજ નજીક ખાનપુર તરફથી એક મૃત ભ્રૂણ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક સ્થાનિક મહિલાની નજર નદીમાં વહેતા આ ભ્રૂણ પર પડતાં તેણે તુરંત જ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણ બહાર કાઢ્યું

ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકની ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ નદીમાં તરતા મૃત ભ્રૂણને બહાર કાઢ્યું હતું. પ્રાથમિક તપાસ અને તબીબી અંદાજ મુજબ આ મૃત ભ્રૂણ અંદાજે 2થી 4 મહિનાનું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણી મહિલા કે વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવા માટે આ નિર્દોષ ભ્રૂણને નદીમાં વહેતું મૂકી દીધું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

પ્રાથમિક તપાસમાં 2થી 4 મહિનાનું હોવાનો ખુલાસો

આ શરમજનક ઘટના અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અજાણી મહિલા કે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભ્રૂણ નદીમાં કોણ અને કયા સમયે મૂકીને ફરાર થઈ ગયું તે જાણવા માટે પોલીસે રિવરફ્રન્ટ વોક-વે, નેહરુ બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવેલા તમામ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની કવાયત હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો