અમદાવાદ શહેરના હૃદયસમા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી નદીના પટમાંથી, નેહરુ બ્રિજ નજીક ખાનપુર તરફથી એક મૃત ભ્રૂણ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક સ્થાનિક મહિલાની નજર નદીમાં વહેતા આ ભ્રૂણ પર પડતાં તેણે તુરંત જ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણ બહાર કાઢ્યું
ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકની ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ નદીમાં તરતા મૃત ભ્રૂણને બહાર કાઢ્યું હતું. પ્રાથમિક તપાસ અને તબીબી અંદાજ મુજબ આ મૃત ભ્રૂણ અંદાજે 2થી 4 મહિનાનું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણી મહિલા કે વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવા માટે આ નિર્દોષ ભ્રૂણને નદીમાં વહેતું મૂકી દીધું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
