શહેરમાં ઠેર ઠેર વરસાદ બાદ ગટર ઉભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય રહી છે. હવે મણિનગર રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે જ છેલ્લા દશેક દિવસથી ગંદા અસહ્ય દુર્ગંધ પાણીનો રેલો બહાર આવી રહ્યો છે.


જેના સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના કંટ્રોલ રૂમ ખાતે આ અંગે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. ચોકઅપ થઈ ગયેલી ગટરોના ગંદા અને દુષિત પાણીનો કોઈ નિકાલ ના થતા સ્થાનિકોમાં ભારે રોષ લાયો છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા માત્ર કામગીરી કરવામાં આવશે તેવી સાંત્વના અપાઈ હતી.

મણિનગરના રામબાગ પાસે કાંકરિયા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસેથી જ ગટરના ગંદા પાણીની અસહ્ય દુર્ગંધ મારી રહી છે. ગટરના પાણીનો રેલો છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં આવેલા ગોપાલચોક પાસેની જયનગર અને વૃંદાવન સોસાયટીના રોડ સુધી પહોંચી રહ્યો છે. જેના કારણે ત્યાંના સ્થાનિકોએ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને તેવા જ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિ વિશે વિસ્તારના કોર્પોરેટરોને જાણ કર્યા બાદ પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તેવો સ્થાનિકોનો આરોપ છે. અધિકારીઓ પણ આ બાબતે કોઈ ધ્યાન આપી રહ્યા નથી, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ કોઈ જ કામગીરી થઈ રહી નથી.

આ અંગે દક્ષિણ ઝોનના અધિકારીએ પણ માત્ર કામગીરી કરવાની સાંત્વના આપતા જણાવ્યું હતું કે, આ માટેની ઓનલાઈન ફરિયાદ મળી ગઈ છે અને તેના પર કામગીરી કરવામાં આવશે. ગટર લાઈનમાં કોઈ જગ્યા પર બ્લોક છે તેની તપાસ કરવામાં આવી રહી છે. વરસાદના કારણે કામગીરી કરવામાં સમય લાગ્યો છે. આગામી દિવસમાં નિકાલ કરવામાં આવશે.


  • Follow us on: