શહેરમાં વિવિધ સ્થાનો પર સ્ટ્રીટ લાઈટ ન લાગી હોય અથવા તો સ્ટ્રીટ લાઈટ ન ચાલતી હોવાની ફરિયાદમાં સતત વધારો થઈ રહ્યો છે.


ઉત્તર ઝોનમાં આવેલા નરોડા વિસ્તારમાં જીઈબીની ઓફસથી સધી માતાના મંદિર થઈ શેલ્બી હોસ્પિટલ જવાના રોડ બનાવવા અને ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 8 મહિનાથી વધુના સમય પસાર થઈ ગયો છતાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવ્યા નથી. બધા પોલનો ઢગલો કરી રોડની પાસે જ મુકી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં સ્ટ્રીટ લાઈટના પોલ પણ ચોરી થઈ રહ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. છેલ્લા ઘણાં સમયથી સ્થાનિકો દ્વારા આ સમસ્યા બાબતે ઓનલાઈન ફરિયાદ કરાઈ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. આ ઉપરાંત સ્થાનિકો વોર્ડ ઓફિસ પહોંચ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે, સ્ટ્રીટ લાઈટ વિભાગ રોડની કામગીરી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યું છે. જ્યારે રોડ અને ફૂટપાથની કામગીરી લાઈટના વાયર નાખવાના બાકી હોવાથી અટકી હોવાની વાત કરી હતી.

ઉત્તર ઝોનમાં છેલ્લા ઘણાં સમયથી રોડ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નવા નરોડામાં દેહગામ રોડથી શેલ્બી હોસ્પિટલને જોડતાં સધી માતાના મંદિરથી શેલ્બી જવાના રોડના રિપેરિંગની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી સ્ટ્રીટ લાઈટ લગાવાઈ નથી. તેમજ કેટલાંક થાંભલા ચોરી થઈ હોવાની પણ ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, 8-8 મહિનાથી લાઈટના પોલ વગર લોકો અવરજવર કરી રહ્યા છે. રાત્રિના સમયમાં અને તેમાં પણ ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં કામગીરી થઈ નથી. આ તરફ કેટલાંક થાંભલા ગાયબ થઈ રહ્યા છે તેમ છતાં પણ AMC ના અધિકારીઓ તેની નજર રાખી રહ્યા નથી. આ માટે સ્થાનિકો દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જ્યારે અધિકારીઓ સ્ટ્રીટ લાઈટ વિભાગ અને રોડ બિલ્ડિંગ વિભાગ એકબીજા પર કામ કરવાનો દોષનો ટોપલો થાલવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ કારણે જનતાને હેરાનગતિ વધી રહી છે.


  • Follow us on: