શહેરના પૂર્વ વિસ્તારમાં સરકારી તંત્ર રેઢિયાળ બન્યું છે. અનેક કચેરીમાં કર્મચારીઓ ગાયબ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રખિયાલ તલાટી સર્કલ ઓફિસ રામ ભરોશે ચાલી રહી છે. ઓફિસમાં ટેબલો પર કર્મચારીઓ ગાયબ હોવાથી અરજદારોને ઘરે પાછો જવાનો વારો આવ્યો હતો.


પૂર્વ વિસ્તારમાં આવેલી રખિયાલ તલાટી સર્કલ ઓફિસમાં કર્મચારીઓ ગાયબ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અલગ અલગ સરકારી કાગળો કઢાવવા આવેલા અરજદારોને વિલા મોંઢે ઘરે જવુ પડયું હતું. આ બાબતે અધિકારીઓ પણ કોઈ એક્શન લેવામાં નિષ્ફળ નિવડયા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ટેબલ પર કર્મચારીઓ ન હોવાથી અરજદારોને લાંબી લાઈનો લાગી હતી. વરસાદના વિરામ બાદ બફારો વધતા પરેશાન થયા હતા. અલગ અલગ આવાસ યોજનાના લાભાર્થીઓ અને દવાખાનામાં એડમીટ દર્દીઓને હેલ્થ કાર્ડ કઢાવવામાં હાલાકી ભોગવવી પડી હતી.

મોટી સંખ્યામાં મધ્યમ વર્ગ અને શ્રમિક લોકો રોજીરોટી બંધ કરીને સરકારી કચેરીએ આવતા હોય છે ત્યારે કચેરીમા કર્મચારીઓ હાજર ન રહેતા લોકોને ભારે કામ પૂર્ણ કર્યા વગર ઘરે પરત ફરવું પડે છે. જે અરજદારો રોજનું કમાઈને રોજ પેટ ભરતા હોય તેને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

અનેક સરકારી કચેરીમા કર્મચારીઓ હાજર રહેતા ન હોવાથી અનેક કામો અટવાતા હોય છે તેમજ કર્મચારીઓ આખો આખો દિવસ ઓફિસથી ગાયબ હોવા છતાં કોઈ અધિકારીઓ દ્વારા પગલા લેવામાં ન આવતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રેઢિયાળ તંત્ર સામે ઉચ્ચ અધિકારી પગલાં ભરે તેવી અરજદારો માગ કરી રહ્યા છે.


  • Follow us on: