છેલ્લા એક સપ્તાહથી રાજયના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. સિઝનની પહેલા બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થતો હતો.


છેલ્લા એક સપ્તાહમાં ગરમી ગાયબ થઈ ગઈ છે અને વરસાદથી સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડીના કારણે હાલમાં ભીના પવનો સાથે છંટકાવવાળો વરસાદ પડી રહ્યો છે. આ અચાનક બદલાયેલા મોસમને કારણે શિયાળો સમય પહેલાં જ અનુભવાઈ રહ્યો છે. એક તરફ ઠંડીનો ચમકારો લોકોને આરામદાયક લાગ્યો છે તો બીજા તરફ ભેજવાળા વાતાવરણ અને પાણી ભરાવાની સમસ્યાઓથી લોકોને હાલાકી પડી રહી છે. જેના કારણે મચ્છરોની સમસ્યા વધી ગઈ છે. અનેક વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ખાસ કરીને ડેન્ગ્યૂ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધી શકે છે. વાયરલ ઇન્ફેક્શનનો ભય પણ રહેલો છે. આવી પરિસ્થિતિમાં તાવ કે શરીરમાં થાક જેવાં લક્ષણો દેખાય તો નિદાન માટે મોડું ન કરવું જોઇએ તેવી સલાહ ડૉક્ટરો આપી રહ્યા છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

શહેરના પડી રહેલા માવઠાને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની, કાદવ-કિચ્ચડની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ગંદકીની સમસ્યા વકરી છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. સાથે સાથે ભેજ વધવાથી ઘરમાં ભેજ અને ચીકાસ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે વયસ્કો, બાળકોમાં તાવ શરદી અને ખાંસીની ફરિયાદો વધતી જોવા મળી રહી છે.

આવા વાતાવરણમાં રોગચાળાથી બચવા માટે ઘર અને તેની આસાપસ પાણી જમા થવા ન દો, ગરમ પાણી પીવાની ટેવ રાખો, તાજુ અને હળવા આહારનું સેવન કરો, વરસાદમાં ભીંજાય તો તરત કપડા બદલી નાંખો, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર વાપરો જેવી સહાલ ડૉક્ટરો આપી રહ્યા છે.


  • Follow us on: