અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવાની મામૂલી બાબતે ચાર શખ્સોએ બે ભાઈઓ પર હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાથીજણ સર્કલ પાસે આવેલા શાલીન સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ સાથે જૂના મિત્ર સહિત ચાર શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી ઢોર માર માર્યો હતો. સામાન્ય વિવાદમાં કાયદો હાથમાં લઈને મારપીટ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

કંકોત્રી ન આપવાની બાબતે જૂના મિત્ર સાથે વિવાદ

ઘટનાની વિગતો અનુસાર, લગ્નની કંકોત્રી ન આપવા બાબતે વિરેન્દ્રસિંહને તેમના જૂના મિત્ર રાજવિર રાઠોડ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ રાજવિરે વિરેન્દ્રસિંહને ગાળો આપીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજવિરનું ઉપરાણું લઈને આવેલા નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સોએ પણ વિરેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ મીતરાજને પણ આ ચારેય શખ્સોએ ભેગા મળીને માથા, છાતી અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર

હુમલાખોરોએ બંને ભાઈઓને 'તમે નોકરી કેવી રીતે કરો છો તે જોઈ લઈશું' તેવી ગંભીર ધમકી આપી હતી. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને બંને ભાઈઓને વધુ મારમાંથી છોડાવ્યા હતા. લોકોનું ટોળું ભેગું થઈ જતાં ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે વટવા GIDC પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો