અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી મહત્વના અને વ્યસ્ત એવા ઇન્દિરા બ્રિજને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.બંને શહેરો વચ્ચે વાહનવ્યવહાર વધુ ઝડપી અને ટ્રાફિકમુક્ત બને તે માટે રાજ્ય સરકારે 43 વર્ષ જૂના આ ઐતિહાસિક બ્રિજનો સંપૂર્ણ કાયાકલ્પ કરવાનો એક મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.સાબરમતી નદી પર આવેલા અમદાવાદના સુભાષ બ્રિજ કરતાં પણ જૂના એવા આ ઇન્દિરા બ્રિજને હવે 12 લેનનો અત્યાધુનિક અને આઈકોનિક કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવામાં આવશે.
109 કરોડના ખર્ચે હયાત બ્રિજની બંને બાજુ નવા 3-3 લેન ઉમેરાશે
ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે લેવાયેલા આ નિર્ણય મુજબ હાલના 6 લેનના બ્રિજની બંને બાજુએ નવા 3-3 લેનનું નિર્માણ કરવામાં આવશે.જેથી આખો બ્રિજ 12 લેનનો બની જશે.આ ભવ્ય પ્રોજેક્ટના બાંધકામ માટે તંત્ર દ્વારા રૂ.96.23 કરોડનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે.જ્યારે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુધીમાં કુલ ખર્ચ અંદાજે રૂ.109 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.આ નવા પ્રોજેક્ટ માટેનું આકર્ષક કેબલ-સ્ટેડ સ્ટ્રક્ચર અને ડિઝાઇન પણ સત્તાવાર રીતે તૈયાર કરી લેવામાં આવી છે.
