અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી મહત્વના અને વ્યસ્ત એવા ઇન્દિરા બ્રિજને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.બંને શહેરો વચ્ચે વાહનવ્યવહાર વધુ ઝડપી અને ટ્રાફિકમુક્ત બને તે માટે રાજ્ય સરકારે 43 વર્ષ જૂના આ ઐતિહાસિક બ્રિજનો સંપૂર્ણ કાયાકલ્પ કરવાનો એક મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.સાબરમતી નદી પર આવેલા અમદાવાદના સુભાષ બ્રિજ કરતાં પણ જૂના એવા આ ઇન્દિરા બ્રિજને હવે 12 લેનનો અત્યાધુનિક અને આઈકોનિક કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવામાં આવશે.

109 કરોડના ખર્ચે હયાત બ્રિજની બંને બાજુ નવા 3-3 લેન ઉમેરાશે

ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે લેવાયેલા આ નિર્ણય મુજબ હાલના 6 લેનના બ્રિજની બંને બાજુએ નવા 3-3 લેનનું નિર્માણ કરવામાં આવશે.જેથી આખો બ્રિજ 12 લેનનો બની જશે.આ ભવ્ય પ્રોજેક્ટના બાંધકામ માટે તંત્ર દ્વારા રૂ.96.23 કરોડનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે.જ્યારે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુધીમાં કુલ ખર્ચ અંદાજે રૂ.109 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.આ નવા પ્રોજેક્ટ માટેનું આકર્ષક કેબલ-સ્ટેડ સ્ટ્રક્ચર અને ડિઝાઇન પણ સત્તાવાર રીતે તૈયાર કરી લેવામાં આવી છે.

સાબરમતીનો નજારો જોવા વ્યૂઇંગ ગેલેરી અને 2.5 મીટર પહોળો ફૂટપાથ

આ નવો બ્રિજ માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ પ્રવાસન અને આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે બંને બાજુ 2.5 મીટર પહોળો વિશાળ ફૂટપાથ બનાવવામાં આવશે.આ ઉપરાંત, શહેરીજનો અને મુલાકાતીઓ સાબરમતી નદીની સુંદરતા અને નજારો શાંતિથી નિહાળી શકે તે માટે બ્રિજ પર એક ખાસ વ્યૂઇંગ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવશે.આગામી સમયમાં આ બ્રિજ અમદાવાદ અને ગાંધીનગરનું એક નવું નજરાણું સાબિત થશે.

આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા