અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના ફેલાવાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. મનપા દ્વારા શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગોના ફેલાવતા મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે સઘન ચેકીંગ અને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અનેક એકમો અને મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

6.66 લાખથી વધુ ઘરોમાં ચકાસણી
એએમસીના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, AMCના મલેશિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરભરમાં વ્યાપક સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 666118 ઘરોમાં સઘન ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન મકાનોમાં પાણીની ટાંકીઓ, કુલર, ફ્રિજની ટ્રે તથા અન્ય ઘરમાં રહેલા વાસણોમાં મચ્છરોના લાવા ઉત્પન્ન થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન 16752 જેટલી જગ્યાઓ પર ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા, જેને ટીમ દ્વારા તાત્કાલિક નાશ કરવામાં આવ્યા હતા.

એક અઠવાડિયામાં 828 સોસાયટીઓમાં વિશેષ તપાસ
શહેરીજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા અને મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા માત્ર એક જ અઠવાડિયામાં AMCની ટીમો દ્વારા શહેરમાં 828 સોસાયટીઓમાં રૂબરૂ મુલાકાત લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોસાયટીઓમાં પાર્કિંગ એરિયા, બેઝમેન્ટ અને ખુલ્લા પ્લોટોમાં ભરાયેલા પાણીની ચકાસણી કરી માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ અને એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા બાદ મનપા દ્વારા 1145 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી નિયમોનુસાર દંડનો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે
આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે 9677 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ગંભીર બેદરકારી સામે આવતા રૂપિયા 6566200 રૂપિયાનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.ખાનગી મકાનો અને બાંધકામોની સાથે સાથે સરકારી કચેરીઓ અને સંકુલો પણ બાકાત રહ્યા નથી. તપાસ દરમિયાન સરકારી અને અર્ધ સરકારી કુલ 64 એકમો પર પણ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેને લઈને સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી છે. AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોની આસપાસ પાણી જમા ન થવા દે અને આરોગ્ય તંત્રને સહયોગ આપે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી