નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવા અને વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ ગ્રાન્ટ પૈકી અંદાજે રૂપિયા 708 કરોડ જેટલી માતબર રકમ રોડના નિર્માણ,સ્મશાનગૃહના આધુનિકરણ તેમજ AMTS અને BRTS માટે ઇલેક્ટ્રિક બસોની ખરીદી જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવી છે.વાસ્તવિકતા એ છે કે કરોડો રૂપિયાના આંધણ છતાં શહેરની હવા સતત ઝેરી અને દૂષિત બની રહી છે. હવાની ગુણવત્તા બાબતે તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણના આંકડા પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા
અમદાવાદની સરખામણીમાં પ્રમાણમાં નાનું શહેર હોવા છતાં અન્ય એક શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતી કેટેગરીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.જ્યારે બીજી તરફ અમદાવાદને આ સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા હતા.શહેરમાં પ્રદૂષણ વધવા પાછળ માત્ર વાહનો જ નહીં પરંતુ અન્ય વ્યવસ્થાઓ પણ જવાબદાર હોવાનું જણાય છે.તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી વોલ ટુ વોલ પાકા રોડ બનાવવામાં આવ્યા છે.જેના કારણે વરસાદી કે અન્ય પાણી જમીનમાં ઉતરી શકતું નથી અને જમીનની શ્વાસ લેવાની ક્ષમતા ઘટે છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે પણ સાપ્તાહિક રિવ્યુ બેઠક દરમિયાન ફૂટપાથ ઉપર પેવર બ્લોક અથવા પેવિંગ કરતી વખતે માટીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી,જેથી જમીનમાં પાણી સરળતાથી ઉતરી શકે અને ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહે.

