અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત AMC ની ટીમે ઇસનપુર વિસ્તારમાં આવેલા જાણીતા 'જલારામ ખમણ હાઉસ' પર અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી આવતાં તંત્ર દ્વારા આ ખાણીપીણીના એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.
TPC નું પ્રમાણ 24 ની જગ્યાએ 38 સુધી પહોંચ્યું
તપાસ દરમિયાન હેલ્થ વિભાગે ખમણ હાઉસમાં વપરાતા તળવાના તેલની 'ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ' (TPC) મશીન વડે સ્થળ પર જ ચકાસણી કરી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર તેલમાં TPC નું પ્રમાણ વધુમાં વધુ 24 સુધી હોવું જોઈએ, તેની જગ્યાએ જલારામ ખમણ હાઉસમાં વપરાતા તેલમાં આ પ્રમાણ 38 સુધી નોંધાયું હતું. એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેલમાં આટલું ઊંચું TPC પ્રમાણ આવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે.
