અમદાવાદ શહેરમાં AMTS બસોના વધતા જતા અકસ્માતોને રોકવા અને મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા એક અનોખો અને ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ બસમાં ડ્રાઇવરની કેબિન અને કેબિનની સામે ખાસ ‘ડેશ કેમ’ (Dash Cam) સેટ કરવામાં આવ્યા છે.

AMTS બસોમાં મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય

આ ડેશ કેમમાં ખાસ પ્રકારની 3 મુખ્ય એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવર સ્મોકિંગ (ધૂમ્રપાન) કરશે, વાહન ચલાવતી વખતે ઝોકાં ખાશે (ઊંઘશે) કે પછી ફોન પર વાતચીત કરવાની ગંભીર બેદરકારી દાખવશે, તો તરત જ AMTS ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પર એલર્ટ મેસેજ જનરેટ થઈ જશે. કંટ્રોલ રૂમમાં એલર્ટ મળતાં જ ત્યાંથી ડ્રાઇવરને તરત જ વાયરલેસ કે કોલ મારફતે જરૂરી સૂચના અને ચેતવણી આપવામાં આવશે. આ સિવાય જો ડ્રાઇવર બસને નિયત ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડમાં (ઓવર સ્પીડ) દોડાવશે, તો પણ કંટ્રોલ રૂમને તેનું એલર્ટ મળી જશે.

બસમાં ‘ડેશ કેમ’ લગાવી ડ્રાઇવરો પર રખાશે સીધી નજર

AMTS દ્વારા હાલમાં 2 બસોમાં આ ડેશ કેમ લગાવીને પાયલોટ પ્રોજેક્ટનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રયોગનો મુખ્ય આશય ડ્રાઇવરોની માનવીય ભૂલો સુધારવાનો અને બસના અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં અમદાવાદ શહેરની તમામ AMTS બસોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જેથી રોડ અકસ્માતોની ચોક્કસ માહિતી મેળવી શકાશે અને મુસાફરોની સુવિધાઓ સાથે સુરક્ષામાં પણ મોટો વધારો થશે.ડેશ કેમ મારફતે ડ્રાઇવરની દરેક હરકતનું રીયલ ટાઇમ મોનિટરિંગ.ઓવર સ્પીડ અને બેદરકારી પર કંટ્રોલ રૂમથી સીધો સંપર્ક.પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તમામ બસોને આવરી લેવાશે.

આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે