રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહત્વની બદલી બાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે 1997બેચના વરિષ્ઠ અને બાહોશ આઇપીએસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉના પોલીસ કમિશ્નર જી. એસ. મલિકની રાજ્યના પોલીસ વડા એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ઉન્નતિ અને બદલી થતાં અમદાવાદ પોલીસ કમિશ્નરનું અત્યંત મહત્વનું પદ ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલા પદ પર રાજ્ય સરકારે સુરતના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમ સિંહ ગેહલોત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ચારેય મુખ્ય મહાનગરોમાં પોલીસ કમિશ્નર રહ્યા

અનુપમ સિંહ ગેહલોતની આ નિમણૂક સાથે જ ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પણ નોંધાયો છે. તેઓ ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરોમાં પોલીસ કમિશ્નર તરીકે સેવા આપવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હોય. આ પૂર્વે તેઓ રાજકોટ, વડોદરા અને સુરત જેવા સંવેદનશીલ અને મોટા શહેરોમાં પોલીસ કમિશ્નર તરીકે સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને હવે તેઓ મેગા સિટી અમદાવાદનો કાર્યભાર સંભાળી રહ્યા છે. ચારેય મહાનગરોનો બહોળો અનુભવ ધરાવતા ગેહલોતની આ નિમણૂકથી અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી 

ચાર્જ સંભાળ્યા બાદ નવા પોલીસ કમિશ્નરે શહેરની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. આગામી સમયમાં યોજાનારી મહત્વની ઘટનાઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને રથયાત્રા જેવી મોટી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને સંભાળવાનો મોટો પડકાર પણ તેમની સામે રહેશે. 1997 બેચના આ અધિકારી પોતાની કડક છાપ અને સ્માર્ટ પોલીસિંગ માટે જાણીતા છે, ત્યારે અમદાવાદીઓ માટે તેમની આ નવી ઇનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : ભારે વરસાદે મુંબઇને ઘમરોળ્યુ, ઠેર ઠેર ભરાયા કમરસમા પાણી, લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા પાણી