અમદાવાદ શહેરમાં બાળકોના પોષણ સ્તરને સુધારવા હાથ ધરાયેલા ભગીરથ પ્રયાસોના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના સતત મોનિટરિંગને કારણે શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સીધો 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર વર્ષ 2025માં અમદાવાદ શહેરમાં કુલ 8,807 બાળકો કુપોષિત શ્રેણીમાં નોંધાયા હતા, જેની સરખામણીએ હાલ આ સંખ્યા ઘટીને 4,281 થઈ ગઈ છે. તંત્રની આ સિદ્ધિ બાળ આરોગ્ય ક્ષેત્રે સરાહનીય ગણવામાં આવી રહી છે.
સામાન્ય અને અતિ કુપોષિત બાળકોનું આંકડાકીય ચિત્ર
શહેરમાં નોંધાયેલા કુલ 4,281 બાળકોના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો તેમાંથી 3,637 બાળકો સામાન્ય કુપોષિત શ્રેણીમાં આવે છે. જ્યારે અત્યંત ગંભીર સ્થિતિ ધરાવતા અતિ કુપોષિત બાળકોની સંખ્યા 644 નોંધાઈ છે. આંગણવાડી કેન્દ્રો અને હેલ્થ વર્કર્સ દ્વારા આવા બાળકોની ખાસ ઓળખ કરીને તેમને સુપોષણ કીટ, પૌષ્ટિક આહાર અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને અતિ કુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેમના વજન અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
