અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકને અકસ્માત નડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવકને ઈમરજન્સી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં સર્જરી કરવાની ફરજ પડી હતી.
સર્જરી બાદ યુવકે દમ તોડ્યો, પરિવારમાં અરેરાટી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પગનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ ટૂંક જ સમયમાં 21 વર્ષીય યુવરાજ નડીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં પુત્રનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
તબીબોની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે પરિવારનો રોષ
યુવકના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો પર ઘોર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. પરિજનોનો દાવો છે કે, ઓપરેશન દરમિયાન અથવા તો ઓપરેશન બાદ તબીબોની લાપરવાહીના કારણે જ યુવકે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
તબીબોની બેદરકારીના આક્ષેપો અને પરિવારજનોના ભારે હોબાળા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. કયા સંજોગોમાં યુવકનું મોત નીપજ્યું, સર્જરી દરમિયાન કોઈ તબીબી ખામી રહી હતી કે, કેમ તે તમામ પાસાઓ પર તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ