અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સ્થાનિક લોકપ્રતિનિધિઓની અવગણના કરીને ઉતાવળમાં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.ગત 3 જુલાઈના રોજ DRM વેદ પ્રકાશે સ્થાનિક સાંસદ દિનેશ મકવાણા,મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને જાણ કર્યા વિના જ આ કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરી દીધું હતું.જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલા આ મનસ્વી નિર્ણયને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

રેલ વિભાગ અને DRM પાસે સત્તાવાર ખુલાસો માંગશે

આ સમગ્ર મામલે અમદાવાદના સાંસદ દિનેશ મકવાણાએ તીખી પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,આટલી મહત્વની અને મોટી કામગીરી થઈ રહી હોય ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિઓને જાણ કેમ ન કરવામાં આવી?તેમણે રેલ વિભાગની આ મનમાનીને ગંભીરતાથી લઈને હવે કેન્દ્રીય સ્તરે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.સાંસદ આ મામલે રેલ વિભાગ અને DRM પાસે સત્તાવાર ખુલાસો માંગશે અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને આ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવશે.

2500 કરોડના ખર્ચે મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે

હાલ કાલુપુર અને અસારવા સ્ટેશન સહિત 2500 કરોડના ખર્ચે મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યારે આવી સંવેદનશીલ કામગીરીમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી આવી ભૂલો વિકાસના કાર્યોની છબી ખરડી રહી છે.ખાસ કરીને જે મતવિસ્તારમાં આ કામ થયું છે, તે વિસ્તારના ધારાસભ્ય અને મેયરને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે. લોકશાહીમાં જનપ્રતિનિધિઓની મર્યાદા જાળવવામાં નિષ્ફળ રહેલા રેલવેના જવાબદાર અધિકારીઓ સામે હવે કેવા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામું મંજૂર, સાંજે 5:30 કલાકે મંદિર ટ્રસ્ટ નિવેદન આપશે