આણંદના ચર્ચિત પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસની કાનૂની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આવક કરતાં વધુ સંપત્તિ વસાવવાના ગંભીર આરોપો હેઠળ ઘેરાયેલા પૂર્વ RAC કેતકી વ્યાસ દ્વારા અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા અને તપાસના તથ્યોને ધ્યાને રાખીને કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે, જેથી તેમને જેલવાસમાં જ રહેવું પડશે.
પૂર્વ RAC કેતકી વ્યાસને કોર્ટનો મોટો આંચકો
અપ્રમાણસર મિલકતના આ કેસમાં સરકારી પક્ષ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરાઈ હતી કે આરોપી ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી જામીન મળતાં તપાસ પર માતબર અસર પડી શકે છે.જામીન અરજી રદ કરવાનો હુકમ સંભળાવતી વખતે અદાલતે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે મિલકત બનાવતા અધિકારીઓ સામે અત્યંત સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, અપ્રમાણસર મિલકતનો કેસ અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને આવા ગુનાઓને હળવાશથી લઈ શકાય નહીં.
