ગુજરાતમાં આજે માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી શિક્ષક અભિરુચિ કસોટી (TAT) ની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 75 હજાર જેટલા ઉમેદવારો આ મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યની માધ્યમિક શાળાઓમાં શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષકોની પસંદગીના હેતુથી યોજાતી આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે.
5 શહેરોના 403 કેન્દ્રો પરથી લેવાશે પરીક્ષા
આ પરીક્ષાના સુચારુ અને પારદર્શક સંચાલન માટે રાજ્યના મુખ્ય 5 શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય મહાનગરોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત, સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ અને ચોરી મુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂરી થાય તે માટેની તમામ જરૂરી વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
