રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ તમામ આરોપીઓને વડોદરા જેલ ખાતે મોકલવા હુકમ કર્યો હતો. આ કેસમાં એક મહિલાને તેની એક નાની બાળકી સાથે જેલમાં મોકલવામાં આવી હતી. આ મહિલાની જામીન અરજી સામે ગુજરાત સરકારે વિરોધ નહીં કરતાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં.  

માનવીય અભિગમ દાખવીને જામીન મંજૂર કર્યા

ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મીના માર મારવાના કેસમાં 7 વર્ષની જેલ અને 25 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. ચૈતર વસાવા સાથે આ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા, તેમના પી.એ જીતેન્દ્ર વસાવા, રમેશ વસાવા, મોગરા વસાવા, મરિયમ વસાવા, શકુંતલા બલીરામ વસાવા, બલિરામ વસાવા અને રિંકેશ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આ કેસમાં શકુંતલા બલીરામ વસાવાને નાની બાળકી હોવાથી તે સમયે બાળકીને પણ તેમની સાથે મોકલી દેવાઈ હતી. પરંતુ જામીન અંગે રાજ્ય સરકારે કોઈ વિરોધ નહીં કરતાં હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવીને શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા છે.  

વધુ એક કેસમાં ચૈતર સામે તપાસનો ગાળિયો મજબૂત કરાયો

બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની સામે વધુ એક કેસમાં તપાસનો ગાળિયો મજબૂત કરાયો છે. તાજેતરમાં જ ભરૂચની ઝઘડિયા GIDC પોલીસે ચેતર સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને નોટિસ ફટકારી પોલીસ સ્ટેશન હાજર થવા ફરમાન કર્યું હતું. આ GIDCમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં મૃતકના પરિવારજનોએ તેમનો સખત વિરોધ કર્યો હતો. આ દરમિયાન મારામારીની ઘટના પણ બની હતી.


આ પણ વાંચોઃ Gujarat Weather : રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે