ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી ગયું અને માત્ર 2 મિનિટમાં 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યાછે જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડાન ભરતા જ નીચે પડી ગયું અને એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું.


કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત વિમાનના પાછળના ભાગ સાથે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત બાદ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે.

DGCAનું નિવેદન બહાર આવ્યું

અમદાવાદ અકસ્માત અંગે DGCAનું નિવેદન પણ બહાર આવ્યું છે. નિવેદન મુજબ, એર ઇન્ડિયા B787 વિમાન VT-ANB એ અમદાવાદથી ગેટવિક માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ તે ક્રેશ થયું હતું. DGCAના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં 242 લોકો સવાર હતા જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ગૃહમંત્રી અને ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી

પ્રધાનમંત્રી મોદીએ વિમાન દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ કરવામાં આવે.


  • Follow us on: